Tuesday, January 31, 2012

મૃત વ્યક્તિનો બિસ્તર કેમ રાખવામાં નથી આવતો !!?


મૃત વ્યક્તિનો બિસ્તર કેમ રાખવામાં નથી આવતો !!?

ભારતીય માન્યતાઓ અને પરંપરાઓનો દેશ છે. આપણી કોઈપણ પરંપરા અંધવિશ્વાસ નથી. અહીં આપણે દરેક પરંપરાની પાછળ કેટલાક તથ્યો કે વૈજ્ઞાનિક આધાર ચોક્કસ હોય છે. કોઈ કુંટુંબમાં સ્ત્રી કે પુરુષનું મૃત્યુ થાય ત્યારે આપણે ત્યાં અનેક પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. મૃત્યુ એક અટલ સત્ય છે, જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ ચોક્કસ થવાનું જ છે. હિન્દુ ધર્મમાં મૃત્યુની બાબતે અનેક મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. એમાં એક નિયમ છે, મૃત્યુ પામ્યો હોય તેવી વ્યક્તિનો બિસ્તર ઘરમાં ન રાખવાનું.

આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે, મૃત વ્યક્તિના શરીરમાં જે સૂક્ષ્મજીવો હોય છે તે તેના બિસ્તરમાં પણ હોય છે. આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે કોઈના ઘરમાં મૃત્યુ થાય ત્યારે તેના ઘરમાં બાર દિવસ સુધી સુતક રહે છે. અને બારેય દિવસ સુધી ઘરમાં પૂજા-પાઠ પણ નથી કરવામાં આવતા. ત્યારબાદ સુતક નિકળી જાય ત્યારે તે વ્યક્તિના બિસ્તરને પણ દાન કરી દેવામાં આવે છે જે બિસ્તર ઉપર તેનું મૃત્યુ થયું હોય. તેને ઘરમાં રાખવામાં નથી આવતું. કારણ કે મૃત વ્યક્તિનો બિસ્તર રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ પણ પેદા થાય છે. જે ઘરના સભ્યોને નકારાત્મક રીતે અસર કરે છે.

એક જ ગોત્રમાં લગ્ન કેમ નથી કરવામાં આવતા?


એક જ ગોત્રમાં લગ્ન કેમ નથી કરવામાં આવતા?

હિન્દુ ધર્મમાં લગ્ન પહેલા ગોત્ર અને કુંડળીને મેળવવાની પરંપરા છે. કેટલાક લોકો આ પ્રથાને અંધવિશ્વાસ માનીને ટાળી દે છે તો કેટલાક તેને યોગ્ય માને છે. હકીકતમાં આ કોઈ અંધવિશ્વાસ નથી. તેની પાછળ ધાર્મિક કારણ એવું છે કે આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે એક જ ગોત્ર કે એક જ કુળમાં લગ્ન કરવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ પ્રતિબંધ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે એક જ ગોત્ર કે કુળમાં લગ્ન થવાથી દંપતિની સંતાન આનુવંશિક દોષ સાથે જન્મે છે.

આવા દંપતિઓના સંતાન એક જ વિચારધારા, પસંદ, વ્યવહાર વગેરેમાં કોઈ નવીનતા નથી હોતી. આવા બાળકોમાં રચનાત્મકતાનો અભાવ જોવા મળે છે. વિજ્ઞાન દ્વારા પણ આ બાબતે એવી વાત કહેવામાં આવી છે સગોત્ર લગ્ન કરે તો મોટાભાગના દંપતિની સંતાનમાં આનુવંશિક દોષ અર્થાત્ માનસિક વિકલાંગતા, અપંગતા, ગંભીર રોગ વગેરે જન્મજાત જ જોવા મળે છે. શાસ્ત્રો પ્રમાણે આ કારણે જ સગોત્ર લગ્ન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

માંગલિકના લગ્ન માંગલિક સાથે જ કરવા કેમ જરૂરી છે?


માંગલિકના લગ્ન માંગલિક સાથે જ કરવા કેમ જરૂરી છે?

કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં મંગળદોષ હોય છે તેમના લગ્નમાં વિઘ્નો આવે છે અથવા તો તેમના લગ્ન ખૂબ જ જલદી અથવા તો ખૂબ જ મોડા થાય છે. માંગલિક લોકોના લગ્નમાં મોડું થવા પાછળનું એક કારણ માંગલિક છોકરી કે છોકરો મળતો નથી તે પણ હોય છે. સમયસર યોગ્ય વર કે કન્યા મળતા નથી. અને જેઓ મળી જાય છે ત્યાં બીજી અન્ય અનેક સમસ્યાઓ સામે આવે છે. જ્યારે આવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે મનમાં એવો ખયાલ આવે છે કે, માંગલિક છોકરાના લગ્ન માંગલિક છોકરી સાથે જ કેમ ન થઈ શકે? આવી વખતે ઘણા લોકો આ માન્યતાને અંધવિશ્વાસ માની લે છે.

પરંતુ આ અંધવિશ્વાસ નથી. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માંગલિક સ્ત્રી કે પુરુષ પોતાના જીવનસાથી પાસે વિશેષ અપેક્ષાઓ રાખે છે, તથા જીવનસાથીની બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય છે. માંગલિક જાતક સહવાસની બાબતે ખૂબ જ પ્રબળ હોય છે, તેથી તેઓ પોતાના જીવનસાથી પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. પરંતુ જો તેમનો જીવનસાથી સંપૂર્ણ સહયોગ ન કરે ત્યારે તેમની વચ્ચે વિવાદ પેદા થવાનો ડર પેદા થાય છે. આ કારણે જ શાસ્ત્રોમાં ભાર આપવામાં આવ્યો છે કે માંગલિકના લગ્ન માંગલિક સાથે જ થાય. પરંતુ ક્યાંક ક્યાંક અપવાદ સ્વરૂપે છોકરાની કુંડળીમાં મંગળ દોષ હોય અને છોકરીની કુંડળીમાં 1, 4, 7, 8, 12 સ્થાને શનિ હોય કે મંગળની સાથે ગુરુ હોય ત્યારે પણ મંગળનો પ્રભાવ સમાપ્ત થયો માનવામાં આવે છે. માંગલિક જાતકના લગ્ન મોડેથી પણ સારી જગ્યાએ થાય છે.

માંગલિક પર મંગળ ગ્રહનો પ્રભાવ
માંગલિક વ્યક્તિ પર મંગળનો સીધો પ્રભાવ હોય છે. જો મંગળ અશુભ ફળ આપનાર હોય તો એ વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ હોય છે જેમ કે લોહી સંબંધિત બિમારી, ભૂમિ-ભવન મામલે નુક્સાન, લગ્નમાં મોડુ વગરે. આ વ્યક્તિઓ સખત મહેનત કરવા છતાં સફળતા મેળવી શકતા નથી.

ભૂખ લાગવાનું વૈજ્ઞાનિક કારણ શું ?


ભૂખ લાગવાનું વૈજ્ઞાનિક કારણ શું ?

જાણે આદત પડી હોય એ રીતે આપણે રોજ બે ટંક જમી લઇએ છીએ. કેમ કે આપણને ભૂખ લાગે છે. પરંતુ ભૂખ શા માટે લાગે છે ? એવો પ્રશ્ર તમારા મનમાં કદી જાગ્‍યો છે ખરો ? ભૂખ લાગવા પાછળ પણ એક ચોક્કસ વિજ્ઞાન કામ કરે છે.
ભૂખ લાગી છે, એવા પ્રકારનો સંદેશો આપણું શરીર આપણા મગજને મોકલતું હોય છે. આવા સંદેશાનો અર્થ એ કે પોષણયુકત પદાર્થોનું પ્રમાણ આપણા શરીરમાં ફરતા લોહીમાં ઘટી ગયું છે અને તેને આવા વધુ પદાર્થોની જરૂર છે. હવે આ કેવી રીતે બને છે તે જોઇએ.
આપણા શરીરમાં પોષક પદાર્થોનું સતત રાસાયણિક પરિવર્તન થતું રહેતું હોય છે. જેથી શરીરના તમામ અવયવોને લોહી દ્વારા શકિત મળતી રહે. તેમાં સમતુલા જળવાય એ શરીરને ટકાવી રાખવા માટે જરૂરી છે. તેનો અર્થ એ કે બળતણરૂપે લેવાતા ખોરાક અને તેના વપરાશની સમતુલા જળવાવી જોઇએ અને તેનું બરાબર નિયંત્રણ પણ થવું જોઇએ. આ નિયંત્રણ ખોરવાઇ ન જાય એટલા માટે તરસ અને ભૂખ લાગે છે.
આપણા મગજમાં ભૂખનું કેન્‍દ્ર આવેલું છે. આ કેન્‍દ્ર આપણા આંતરડા અને પેટની પ્રવૃતિ પર બ્રેકનું કામ કરે છે. મતલબ કે જયારે આપણા લોહીમાં પૂરતા પ્રમાણમાં પોષક પદાર્થો ભળેલા હોય ત્‍યારે મગજમાં આવેલું આ ભૂખનું કેન્‍દ્ર પેટ અને આંતરડાની પ્રવૃતિને થંભાવી દે છે. પરંતુ જો લોહીમાં આ પોષક દ્રવ્‍યોનું પ્રમાણ ઘટી જાય મગજમાં આવેલું ભૂખનું કેન્‍દ્ર પેટ તથા આંતરડાની પ્રવૃતિને પાછી ચાલુ કરી દે છે ! આ કારણે જ જયારે આપણને કકડીને ભૂખ લાગે ત્‍યારે પેટમાંથી ગડગડાટીનો અવાજ આવે છે.
આમ છતાં તમને જાણીને નવાઇ લાગશે કે ખાલી પેટ સાથે ભૂખને કશો સીધો સંબંધ નથી. કોઇ વ્‍યકિતને તાવ આવ્‍યો હોય તો તેનું પેટ ખાલી હોવા છતાં તેને ભૂખ નહીં લાગે, કેમ કે એ વખતે શરીરમાં સંઘરાયેલાં પ્રોટીનના અનામત જથ્‍થામાંથી તેને પોષણ મળતું હોય છે.
ભૂખ દ્વારા આપણા શરીરની બળતણ માટેની જરૂરિયાત વ્‍યકત થાય છે. કોઇપણ પ્રકારનું બળતણ વિજ્ઞાન કહે છે ખૂબ જ ભૂખી વ્‍યકિત કોઇપણ પ્રકારનો ખોરાક ખાઇ જતી હોય છે. કયારેક તો તે સામાન્‍ય સંજોગોમાં ન ખાવા યોગ્‍ય ખોરાક હોય તોપણ કઠોર સંજોગોની ફરજ પડે તો શાકાહારી માનવી માંસાહાર કરવા માંડે એટલું જ નહીં, બલકે તેની જિજીવિષા એવી તો પ્રબળ થઇ જાય કે તે માનવીનું માંસ પણ ખાવા લાગે. જોકે આવા કઠોર સંજોગો આપણા રોંજીદા જીવનમાં ઊભા થતા નથી અને એટલા માટે જ આપણે અવનવી વાનગીઓવાળો ખોરાક પસંદ કરવાની મનોવૃતિ ધરાવીએ છીએ. દાખલા તરીકે જયારે કોઇ વ્‍યકિત જમવા બેસે ત્‍યારે પહેલાં તે સૂપ લેશે. પછી તે દાળભાત કે શાકભાજી અને રોટલી લેશે અને તેનાથી પેટ ભરાવા લાગે ત્‍યારે છેલ્‍લે ફળો કે મિષ્‍ટાન્‍ન લેશે. પરંતુ આટલું જ પોષણ લેવા માટે તે માત્ર બટેટાં ખાઇને સંતોષ માનશે નહીં. કયું પ્રાણી કેટલો વખત સુધી ખોરાક વિના ચલાવી શકે તેનો આધાર તેના શરીરમાં ચાલતી પોષક પદાર્થોનું સતત રાસાયણિક પરિવર્તન કરવાની પ્રક્રિયા પર છે. ગરમ લોહીવાળાં પ્રાણીઓમાં પ્રક્રિયા ઝડપી હોય છે એથી તેઓ વધુ ઝડપે ખોરાકનો જથ્‍થો વાપરી નાંખે છે.

કાળા કપડાં...ક્યારે પહેરવા અને ક્યારે નહીં !?..


કાળા કપડાં...ક્યારે પહેરવા અને ક્યારે નહીં !?..

હિન્દુધર્મમાં લગ્નમાં વર-કન્યાને કાળા કપડાં પહેરવા માટે સખત મનાઈ ફરમાવવામાં આવેલી છે કારણ કે આપણે ત્યાં એવી માન્યતા છે કે કાળો રંગ અશુભ હોય છે. મોટાભાગના લોકો આને અંધવિશ્વાસ માનીને આ વાતની હસી ઉડાવી દે છે. કારણ કે કાળા રંગના કપડાં આ દિવસોમાં ફેશનમાં ચાલે છે. એટલે લગ્નમાં પણ વર-કન્યા અને તેના સંબંધીઓ પણ આ વાતને અંધવિશ્વાસ માની ટાળી દે છે.

પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શુભ કાર્યોમાં કાળા રંગના કપડાં પહેરવા ન જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. એટલે લગ્નોમાં પણ વસ્ત્રો લાલ, પીળા, ગુલાબી રંગોને વધુ માન્યતા આપવામાં આવી છે કારણ કે લાલ રંગ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય એવું છે કે લાલ રંગ ઊર્જાનો સ્ત્રોત છે અને લાલ રંગ હકારાત્મક ઊર્જાનું પણ પ્રતીક છે.


તેનાથી વિરુદ્ધ જ્યારે વાદળી, ઘઉંવર્ણા અને કાળા રંગની માનાઈ ફરમાવવામાં આવેલી છે તેની પાછળનું પણ કારણ છે કે કાળા અને ગાઢ રંગો નિરાશાનું પ્રતીક છે અને એવી ભાવનાનાઓને શુભ કાર્યોમાં આવવી ન જોઈએ. કાળા કપડાં પહેરીને કોઈ શુભ કાર્યોમાં આવી જાય તો તેનાથી મનમાં નકારાત્મક વિચારો જન્મ લે છે અને સંબંધોનો આધાર મજબૂત નથી થતો. એટલે લગ્નમાં વર-કન્યાને કાળા કપડાં પહેરવાની માનાઈ ફરમાવવામાં આવે છે.

અજવાળા કરતાં અંધારામાં આપણે સહેલાઇથી ઊંઘીએ છીએ


અજવાળા કરતાં અંધારામાં આપણે સહેલાઇથી ઊંઘીએ છીએ

અજવાળા કરતાં અંધારામાં આપણે શા માટે ઝડપથી / સહેલાઇથી ઊંઘીએ છીએ?
દુનિયાનો દરેક પદાર્થ જો તે પૂરતો પાતળો હોય તો પોતાનામાંથી તે થોડો કે વધુ પ્રકાશ પસાર થવા દે છે, અથવા તેનામાંથી પ્રકાશ પસાર થાય છે. ઊંઘતી વખતે આપણે આંખો બંધ કરીએ છીએ ત્‍યારે આંખો પોપચાનું ઢાંકણ કે આવરણ આવી જાય છે. આપણી આંખોનાં પોપચાં પાતળાં હોવાં જોઇએ, કારણ કે, જો આપણે કશુંક જોવું હોય તો આપણે તેને ઊંચે લઇ જવાં પડે છે, રાખવાં પડે છે. જો આ પોપચાં જાડાં હોય તો તે વજનમાં પણ એટલાં ભારે હોય કે, આપણને આંખો ખુલ્‍લી કે ઉઘાડી રાખવામાં ઘણી મહેનત અને મુશ્‍કેલી પડે.
આ પોપચાં પાતળાં હોવાથી તે અપારદર્શક હોતાં નથી. જો તે કોઇ કાળા પડદા જેવા ઘેરા કે અપારદર્શક હોત તો આપણે અંધારાની પેઠે પ્રકાશમાં,અજવાળામાં પણ સહેલાઇથી ઊંઘી શકીએ, કારણ કે પોપચાં બીડતાં જ આપણે પૂરેપૂરા અંધારામાં આવી જઇએ, પરંતુ એવું નથી. આપણી આંખોનાં પોપચાં પ્રકાશને પોતાની આરપાર સારા પ્રમાણમાં પસાર થવા દે છે, જેથી આંખોમાં પ્રકાશ પ્રવેશી શકતો ન હોવાથી આપણે બહુ સહેલાઇથી ઊંઘી શકીએ છીએ.
આંખો બંધ કરેલી રાખી હોય અને મકાનની બારી ખુલ્‍લી રાખી હોય ત્‍યારે આપણને ખાતરી થશે કે, પ્રકાશનાં કિરણો આંખોમાં પ્રવેશે છે.

આગની જયોત કે ભડકો પાણીમાં બુઝાઇ જાય છે,તેલમાં તે સળગે છે


આગની જયોત કે ભડકો પાણીમાં બુઝાઇ જાય છે,તેલમાં તે સળગે છે

પાણી અને તેલ બંને પ્રવાહી છે. પાણી એટલે બળી ગયેલો અથવા સળગી ગયેલો કે ઓકિસજન સાથે ભળીને સળગી ગયેલો હાઇડ્રોજન વાયુ છે, જેથી તે સળગી ગયેલો હાઇડ્રોજન ફરી વખત સળગી શકતો નથી. જયારે દીવાની જયોતને પાણીમાં બોળવામાં આવે છે, ત્‍યારે તેને હવામાંથી ઓકિસજન મળતો બંધ થાય છે, કારણ કે પાણીમાં હાઇડ્રોજન કે ઓકિસજન તેમના મૂળ ગુણો સાથે અસ્તિત્‍વ ધરાવતા નથી. જેવી રીતે ડૂબતો માણસ પાણીમાં ગુંગળાઇને મરી જાય છે, તેવું જ દીવાની જયોતનું થાય છે. ?જોકે પાણીમાં ખૂબ જ અલ્‍પ પ્રમાણમાં ઓકિસજન ઓગળેલો હોય છે, જે સળગવા માટે તથા માછલીઓને શ્ર્વાસ લેવા માટે પૂરતો હોય છે પરંતુ તે જયોતને કે ભડકાને સળગતાં રાખવા માટે પૂરતો હોતો નથી. હવાની સરખામણીમાં પાણી ગરમીનું વધુ સારું વાહક છે, એટલે કદાચ એવું પણ બને કે, જયારે કોઇ સળગતી વસ્‍તુ પાણીમાં નાખવામાં આવે અથવા તે સળગતી વસ્‍તુ ઉપર પાણી નાખવામાં આવે છે ત્‍યારે તે વસ્‍તુ કે પદાર્થ પોતાની ગરમી ઝડપથી ગુમાવી દે છે અને તેનું ઉષ્‍ણતામાન એટલું ઘટી જાય છે કે, તેટલા ઉષ્‍ણતામાને તે સળગી શકતી નથી.
જયારે પેરેફીન (તેલ) એ કાર્બન હાઇડ્રોજનનો બનેલો સંયુકત પદાર્થ છે. આ બંને તત્‍વો ઓકિસજનની સાથે બહુ જ સહેલાઇથી ભળી જાય છે, એટલે કે પૂરતી ગરમી મળતાં તરત જ તે જવલનશીલ (સળગી ઊઠે તેવા) બની જાય છે. આથી જયારે પેરેફીનમાં આગ મૂકવામાં આવે છે કે તરત જ તેમાંથી કાર્બન અને હાઇડ્રોજન ઝડપથી સળગવા માંડે છે અને તેમાંથી પાણી (હાઇડ્રોજન અને ઓકિસજનનુ સંયોજન) તથા કાર્બન ડાયોકસાઇડ (કાર્બન અને ઓકિસજનનું સંયોજન) ઉત્‍પન્‍ન થાય છે. જયારે પેરેફીનનું આ બે તત્‍વોમાં પૂરું રૂપાંતર થઇ જાય છે, પછી તે પણ સળગી શકતું નથી.

વેલેન્ટાઇન-ડે ઉપર પાર્ટનરને રેડ રોઝ શા માટે આપે છે?


વેલેન્ટાઇન-ડે ઉપર પાર્ટનરને રેડ રોઝ શા માટે આપે છે?

જરા વિચારો પ્રેમ વગર જિંદગી અને જિંદગી વગર પ્રેમ કેવો હોય? એક મુરઝાયેલા ફૂલ જેવો ને? કોઈ પણ વ્યક્તિ માટે પોતાની સાથે પ્રેમ કરવો જેટલો આસાન છે એટલો જ બીજાને આપવો મુશ્કેલ હોઈ શકે.


પ્રેમ કરનાર માટે આપણે ગમે એટલા ટેન્શનમાં હોઈએ પણ એવી આશા રાખીએ છીએ કે બધા આપણને પ્રેમથી વાત કરે. આજકાલ ભાગદોડવાળા જીવનમાં એકબીજા માટે સમય કાઢવો મુશ્કેલ છે એટલે સંબંધોમાં અંતર આવે છે.


આવી વખતે વેલેન્ટાઇન-ડે પ્રેમ કરનારાઓ માટે જીવનમાં ફરીથી નવો ઉત્સાહ અને ઉંમગ ભરે છે. વેલેન્ટાઇન-ડેના દિવસે પોતાના પાર્ટનરને લાલ ગુલાબ આપવાની પરંપરા છે. હકીકતમાં લાલ ગુલાબ આપવાનું કારણ એ છે કે, સંબંધોમાં હંમેશા ગરમાહટ ભરેલી રહે. લાલ રંગ જોશ અને ઉગ્રતાનું પણ પ્રતીક છે. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો અને તેને લાલ ગુલાબ આપો છો. તો તે એ વાતનું પ્રતીક છે કે તમે ઈચ્છો છો કે તમારા બંનેનો સંબંધ ગુલાબના ફૂલની જેમ તાજગી અને સુંદરતાથી ભરેલો રહે.

કોટનના બનેલા કપડાને પહેલી વખત ધોયા પછી ચડી જાય છે.


કોટનના બનેલા કપડાને પહેલી વખત ધોયા પછી ચડી જાય છે.

મિલમાં સૂતરનું કાપડ તૈયાર થયા બાદ સરસ ફિનિશિંગ માટે તેના પર ખાસ પ્રક્રિયા કરાય છે, જેને કેલેન્‍ડરિંગ અને સ્‍ટાર્ચ પ્રોસેસિંગ કહે છે. કારીગરો પહેલાં તે નરમ કાપડને સ્‍ટાર્ચવાળું કરે છે. ક્યારેક તેમાં થોડો ચોક પણ ભેળવે છે.
એ પછી દસ-બાર મોટાં રોલર્સ (નળાકારો) વચ્‍ચે તેને દબાણપૂર્વક પસાર કરે છે, જેથી ઢીલુંપોચું અને જાડું કાપડ એકદમ કડક અને પાતળું બને. (આ કાર્ય માટે વપરાતું કેલેન્‍ડર નામનું મશીન ૧૮૦૫માં ઇંગ્‍લેન્‍ડના જાણીતા ઈજનેર વિલિયમ સ્મિથે શોધ્‍યું હતું.) ઈસ્‍ત્રી ફેરવો ત્‍યારે કાપડ સહેજ વિસ્‍તરે તેમ કેલેન્‍ડરિંગ વખતે તો રોલર્સના સખત દબાણને લીધે તે પુષ્‍કળ વિસ્‍તરણ પામે છે. લંબાઈમાં અને પહોળાઈમાં ખાસ્‍સો વધારો થાય છે. કેલેન્‍ડર થયેલું બ્રાન્‍ડ-ન્‍યૂ કાપડ દેખાવમાં બહુ આકર્ષક લાગે, પણ તેને ધોયા પછી ઘણોખરો સ્‍ટાર્ચ નીકળી જાય છે. સૂતરના અતિશય લંબાવેલા સંખ્‍યાબંધ તાંતણા પણ સહેજ ટૂંકાયા વગર રહેતા નથી, માટે કાપડ પોતે ટૂંકું થાય છે. અમુક મિલો જો કે તેમના કાપડનું સેન્‍ફરાઇઝિંગ કરીને એટલે કે પાણીમાં ધોવાયા બાદ કાપડ ચડી ન જાય તેના માટે ખાસ પ્રક્રિયા કરીને જ વેચે છે.

મેઘધનુષ હંમેશા અર્ધવર્તુળમાં શા માટે દેખાય છે


મેઘધનુષ હંમેશા અર્ધવર્તુળમાં શા માટે દેખાય છે

તોફાની હવામાન સાથે વરસાદ પડ્યા બાદ ક્યારેક મેઘધનુષ રચાય છે. ધરતી પર રહીને જોતાં તે અર્ધવર્તુળ જણાય, છતાં આકાશમાં બહુ ઊંચા લેવલે ઊડતા પાયલટને ઘણી વખત આખું વર્તુળ પણ જોવા મળે છે. વરસાદ પછી વાતાવરણમાં ટકી રહેલા સૂક્ષ્‍મ ભેજકણો સૂર્યપ્રકાશ માટે ત્રિપાર્શ્વ કાચનો પાઠ ભજવે છે. સૂર્યનું દરેક કિરણ જે તે ભેજકણમાં દાખલ થવાના સમયે જરા વક્રીભવન પામે છે, ભેજકણની આંતરિક સપાટી જોડે ટકરાયા બાદ પ્રતિબિમ્બિત થાય છે અને બહાર નીકળતી વખતે ફરી વક્રીભવન પામે છે. ત્રિપાર્શ્વકાચનો જ એ સિધ્‍ધાંત થયો, માટે સૂર્યપ્રકાશ ‘જાનીવાલીપીનારા‘ એમ સાત રંગોમાં વહેંચાય છે.
મેઘધનુષમાં પહેલી (ઉપલી) રિંગ લાલ રંગે દેખાવાનું કારણ અહીં રેખાંકનમાં સમજાવ્‍યું છે. ભેજકણ દ્વારા લાલ કિરણો જરા મોટા ખૂણે રિફલેક્ટ થાય છે, જ્યારે ભૂરા કિરણો સહેજ છીછરા ખૂણે બહાર નીકળે છે. જોનારની આંખમાં જે કિરણો બરાબર સીધ પકડીને સમાય એ જ રંગ તેને દેખાય, એટલે નીચા લેવલના ભેજકણો જ એ વ્‍યક્તિને ભૂરો રંગ જોતો કરી શકે છે. કિરણોની સીધ હંમેશા અર્ધવર્તુળના કે પૂર્ણવર્તુળના જ હિસ્‍સામાં પકડાતી હોય છે. પરિણામે મેઘધનુષનો આકાર પણ કુદરતી રીતે એ જાતનો બને.

રાત્રિના સમયે જીવડાં બત્તી તરફ કેમ આકર્ષાય છે ?


રાત્રિના સમયે જીવડાં બત્તી તરફ કેમ આકર્ષાય છે ?

નિષ્‍ણાતોના મતે જીવડાં પોતાનું અસ્તિત્‍વ ટકાવવા માટે પ્રકાશ તરફ આકર્ષાય છે. ઉત્‍ક્રાંતિ દરમ્‍યાન કુદરતે જીવડાંમાં પ્રકાશ માટેનું આકર્ષ પેદા કર્યું છે, કારણ કે તેના આધારે તેઓ ખોરાકને તેમજ માદાને શોધે છે. દાખલા તરીકે કપાસનાં અમુક ફૂદાં ચંદ્રના પ્રકાશ વડે દોરવાતાં આગળ વધીને એ પાકનાં ખેતરો સુધી પહોંચે છે. આ ફૂદાં ટચૂકડી એન્‍ટેના વડે સજ્જ હોય છે. એન્‍ટેનાની ટોચનો પડછાયો આંખના ચોક્કસ બિન્‍દુ પર સતત પડ્યા કરવો જોઈએ—અને જો ન પડે તો ફૂદાં તેને પાછો બિન્‍દુ પર લાવવા માટે પોતાનો માર્ગ તેમજ દિશા બદલે છે. પરિણામે તેઓ અંધારી રાત્રેય સહેજ પણ રસ્‍તો ભૂલતાં નથી. કપાસની જેમ તમાકુનાં પાંદડાં ખાનારાં ફૂદાં પણ એ જ રીતે ચંદ્રના પ્રકાશ વડે રસ્‍તો શોધી કાઢે છે. એન્‍ટેનાની ટોચના સૂક્ષ્‍મ પડછાયાને તેઓ પણ આંખના ચોક્કસ ‘સ્‍પોટ‘ પર કેન્દ્રિત રાખીને પ્રવાસ ખેડે છે.
હવે ક્યારેક રાતના સમયે એવું થાય કે જેને તેમણે ચંદ્રનો ગોળો સમજી લીધો હોય તે વીજળીનો ગોળો હોય, ચંદ્રનો નહિ. મીણબત્તીને પણ કદાચ તેઓ ચંદ્ર સમજી લે. આ જાતના પ્રકાશસ્‍ત્રોતની ખૂબ નજીક ગયા બાદ પેલો બારીક પડછાયાને આંખના કેન્‍દ્રમાં રાખવા માટે તેમણે શું કરવાનું રહે તે વિચારો. જીવડાં સતત ગોળ સર્કલમાં ચકરાવા માર્યા કરે તો જ પડછાયો જ્યાંનો ત્‍યાં જળવાય, બરાબર આખરે ટર્ન પર ટર્ન મારવા જતાં સરેરાશ જીવડું બત્તી જોડે ટકરાય છે. માનો કે બત્તી નહિ, પણ મીણબત્તી હોય તો જીવડું તરત જ બળી મરે છે !

માથું ક્યાંક જોરમાં અફળાય તો..


માથું ક્યાંક જોરમાં અફળાય તો..

જોવાની ક્રિયામાં આંખનું કાર્ય ફક્ત કેમેરાના લેન્‍સ જેવું છે. નજર સામેનું દ્રશ્‍ય જેમના વડે બનેલું હોય એ પ્રકાશનાં કિરણોને આંખ પોતાના કોષો થકી ઝીલે છે. વિવિધ કિરણોનું ત્‍યાર બાદ વિદ્યુત સિગ્‍નલોમાં રૂપાંતર કરીને તેમને મગજ તરફ રવાના કરે છે. સિગ્‍નલોના આધારે જે તે રંગવાળું દ્રશ્‍ય જુએ છે અંતે મગજ, આંખ નહિ.
કોઈ વાર માથું ક્યાંક જોરમાં ટકરાય ત્‍યારે આંખો તો આપોઆપ બંધ થાય છે, માટે બહારનો પ્રકાશ તેમાં પ્રવેશતો નથી. પ્રકાશ ન મળ્યો હોય, એટલે મગજને આંખે વીજળીનાં સિગ્‍નલો મોકલવાનો પણ સવાલ નહિ. આમ છતાં કલ્‍પી લો કે હાથમાં પકડેલી સિતાર નીચે પડી અને પછડાટને લીધે તાર આપોઆપ ઝણઝણી ઊઠ્યા. એ પછી એમ કલ્‍પી લો કે આપણું દશેરિયું માથું જ સિતાર છે. પછડાટ વાગતાં જ નેત્રકોષો આઘાત પામી જાય છે અને દબાણને લીધે કેટલાંક વીજળીક સિગ્‍નલોને નેત્રતંતુ દ્વારા મગજ તરફ રીલિઝ કરી દે છે. સિગ્‍નલો કશા ઢંગધડા વગરનાં હોય છે, કેમ કે વ્‍યવસ્થિત દ્રશ્‍યનાં પ્રકાશકિરણો તો આંખમાં દાખલ થયાં હોતાં જ નથી.
અલબત્ત, મગજ તે વાત શી રીતે જાણે ? સિગ્‍નલો મળે કે તરત પોતાની આદત મુજબ એ તો દરેકને જે તે રંગના ટપકામાં ફેરવવા માંડે છે. ટપકાં એ જ તારા, જેમનાં દર્શન આપણને ક્યારેક ધોળે દિવસે પણ થાય છે !

રાત્રિના સમયે જીવડાં બત્તી તરફ કેમ આકર્ષાય છે ?


રાત્રિના સમયે જીવડાં બત્તી તરફ કેમ આકર્ષાય છે ?

નિષ્‍ણાતોના મતે જીવડાં પોતાનું અસ્તિત્‍વ ટકાવવા માટે પ્રકાશ તરફ આકર્ષાય છે. ઉત્‍ક્રાંતિ દરમ્‍યાન કુદરતે જીવડાંમાં પ્રકાશ માટેનું આકર્ષ પેદા કર્યું છે, કારણ કે તેના આધારે તેઓ ખોરાકને તેમજ માદાને શોધે છે. દાખલા તરીકે કપાસનાં અમુક ફૂદાં ચંદ્રના પ્રકાશ વડે દોરવાતાં આગળ વધીને એ પાકનાં ખેતરો સુધી પહોંચે છે. આ ફૂદાં ટચૂકડી એન્‍ટેના વડે સજ્જ હોય છે. એન્‍ટેનાની ટોચનો પડછાયો આંખના ચોક્કસ બિન્‍દુ પર સતત પડ્યા કરવો જોઈએ—અને જો ન પડે તો ફૂદાં તેને પાછો બિન્‍દુ પર લાવવા માટે પોતાનો માર્ગ તેમજ દિશા બદલે છે. પરિણામે તેઓ અંધારી રાત્રેય સહેજ પણ રસ્‍તો ભૂલતાં નથી. કપાસની જેમ તમાકુનાં પાંદડાં ખાનારાં ફૂદાં પણ એ જ રીતે ચંદ્રના પ્રકાશ વડે રસ્‍તો શોધી કાઢે છે. એન્‍ટેનાની ટોચના સૂક્ષ્‍મ પડછાયાને તેઓ પણ આંખના ચોક્કસ ‘સ્‍પોટ‘ પર કેન્દ્રિત રાખીને પ્રવાસ ખેડે છે.
હવે ક્યારેક રાતના સમયે એવું થાય કે જેને તેમણે ચંદ્રનો ગોળો સમજી લીધો હોય તે વીજળીનો ગોળો હોય, ચંદ્રનો નહિ. મીણબત્તીને પણ કદાચ તેઓ ચંદ્ર સમજી લે. આ જાતના પ્રકાશસ્‍ત્રોતની ખૂબ નજીક ગયા બાદ પેલો બારીક પડછાયાને આંખના કેન્‍દ્રમાં રાખવા માટે તેમણે શું કરવાનું રહે તે વિચારો. જીવડાં સતત ગોળ સર્કલમાં ચકરાવા માર્યા કરે તો જ પડછાયો જ્યાંનો ત્‍યાં જળવાય, બરાબર આખરે ટર્ન પર ટર્ન મારવા જતાં સરેરાશ જીવડું બત્તી જોડે ટકરાય છે. માનો કે બત્તી નહિ, પણ મીણબત્તી હોય તો જીવડું તરત જ બળી મરે છે !

ચંદ્ર પર દિવસરાત થાય છે ખરા ?


ચંદ્ર પર દિવસરાત થાય છે ખરા ?
ચંદ્ર પર દિવસ અને રાત પણ હોય, પરંતુ આપણી પૃથ્‍વી કરતાં તે બન્ને સદંતર જુદા અને વળી આશ્ચર્યજનક પણ ખરા ! ચંદ્રનો દિવસ ચોવીસ કલાકને બદલે આપણા ૨૭.૩ દિવસો જેટલો છે, કેમ કે એક ધરીભ્રમણ પૂરૂં કરવામાં તેને એટલી વાર લાગે છે. આશ્ચર્યની બીજી વાત એ કે પૃથ્‍વી ફરતે પ્રદક્ષિ‍ણા કરવામાં પણ ચંદ્ર બરાબર ૨૭.૩ દિવસો લગાડે છે. પરિણામે તેની લગભગ એક જ સાઇડ આપણને હંમેશ માટે જોવા મળે છે. ચંદ્રની વધુમાં વધુ ૫૯% સપાટીને આપણે વારાફરતી દેખી શકીએ છીએ. બાકીની ૪૧% સપાટી ક્યારેય નજરે ચડતી નથી. વળી ચંદ્ર પર ફકત દિવસ અને રાત છે, સાંજ નહિ. આનું કારણ એ કે ચંદ્રને વાતાવરણ નથી. હવાના અભાવ ત્‍યાં સૂર્યપ્રકાશનાં કિરણો સહેજે વેરવિખેર ન થાય, માટે તડકો પડતો હોય એવે ઠેકાણે આંજી દેતું અજવાળું પથરાયેલું રહે છે અને તડકા વગરના સ્‍થળે ઘોર અંધકાર ! અજવાળાને તથા અંધકારને જાણી સીધી લીટી દોરીને અલગ પાડી દીધાં હોય એવું લાગે ! એ જ રીતે હવા વગર ચંદ્ર પર તાપમાન પણ કયાંય સમશીતોષ્‍ણ જણાતું નથી. તડકાની જગ્‍યા પર તાપમાન ૧૦૨ સેલ્શિયસ હોય, તો માંડ દોરાવાર છેટે અંધારા સ્‍થળે થર્મોમીટરનો પારો શૂન્‍ય નીચે ૧૫૭ સેલ્શિયસ ઠંડુગાર તાપમાન બતાવે છે !

મીણબત્તીની જ્યોત હંમેશા ઉપર તરફ જાય છે.


મીણબત્તીની જ્યોત હંમેશા ઉપર તરફ જાય છે.


ખુલ્‍લા અવકાશમાં તો જાણે મીણબત્તી સળગે જ નહિ, કારણ કે હવા વગર સૌ પહેલાં ખુદ દીવાસળી પેટે નહિ. આમ છતાં મીણબત્તી કુત્રિમ વાતાવરણના સ્‍પેસ શટલમાં કે સ્‍પેસ સ્‍ટેશનમાં છે એવું ધારી લઇએ. માની લો કે એ વાતાવરણમાં વળી દહન માટે પૂરતો ઑક્સિજન પણ છે. વૈજ્ઞાનિક રીતે સાચો જવાબ ટૂંકમાં આટલો છે : દિવાસળી ચોક્કસ સળગે. મીણબત્તીની વાટ પર તેને એકદમ જલદી ચાંપી દો તો વાટ પણ સળગે, પરંતુ ત્‍યાર પછી એ જ્યોત એકધારી સળગતી રહી શકે નહિ. સ્‍પેસ શટલના કે સ્‍પેસ સ્‍ટેશનના વાતાવરણમાં ભરપૂર ઓક્સિજન હોય તો પણ નહિ. પ્રાણવાયુ હોવા છતાં જ્યોત ઠરવાનું કારણ એ કે અંતરિક્ષમાં ગુરુત્‍વાકર્ષણ નથી. ધરતી પર મીણબત્તી સળગાવો ત્‍યારે તેની જ્યોત આસપાસની હવાને ગરમ કરે છે. હલકી ગરમ હવા ઊંચે ચડે છે. જ્યોતને પણ એ પોતાની સાથે ઊંચે લેતી જાય છે. દરમ્‍યાન નીચે ખાલી પડતી જગ્‍યાને પૂરવા માટે તાજી અને ભારે હવા વાટ તરફ જાય એ પણ દેખીતી વાત છે. આમ નવા પ્રાણવાયુનો સતત મળ્યા કરતો સપ્‍લાય મીણબત્તીને સળગતી રાખે છે.
પરંતુ અંતરીક્ષમાં જ્યાં ગુરુત્‍વાકર્ષણ ન હોય ત્‍યાં હલકું વજન શું ને ભારે વજન શું ? માટે ઠંડી હવા લેશમાત્ર ભારે હોય નહિ. એ જ રીતે જ્યોતને લીધે ગરમ થયેલી ચોતરફી હવા સહેજ પણ હલકી બનતી નથી. ઊંચે પણ ચડતી નથી. પરિણામે ઑક્સિજન ધરાવતી બીજી હવાને તે લગીરે જગ્‍યા કરી ન આપે, જ્યારે ખુદ એ હવામાં તો થોડી વાર પછી બિલકુલ ઑક્સિજન હોય નહિ. છેવટે મીણબત્તી ગૂલ !

અરીસામાં ચહેરો કેવી રીતે દેખાય છે ?


અરીસામાં ચહેરો કેવી રીતે દેખાય છે ?

સૂર્યનો પ્રકાશ દરેક જગ્‍યાએ પડે છે. બારીના કાચમાંથી તે સીધેસીધો પસાર થઈ જાય છે, પરંતુ પ્રકાશ આપણા પર પડે છે ત્‍યારે
તે ચમકતો નથી કે ઝગમગતો નથી. પ્રકાશ આપણા સુધી આવે છે અને પછી પાછો ફેંકાઈ જાય છે. અરીસામાં પણ પ્રકાશ પાછો ફેંકાય છે. મોટા ભાગે અરીસાના કાચની પાછળ જે ચાંદી જેવું ચળકતું પડ ચડાવવામાં આવે છે. આ ચળકતા પડમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેથી તે પરાવર્તિત થાય છે. પ્રકાશનાં કિરણો તમારા ઉપરથી અરીસામાં અને અરીસામાંથી તમારી તરફ આવે છે. તેથી અરીસામાં તમને તમારું પ્રતિબિંબ દેખાય છે.અરીસા સામે ઊભા રહીને તમે તમારો જમણો હાથ ઊંચો કરશો તો અરીસામાં તમારા પ્રતિબિંબનો ડાબો હાથ ઊંચો જતો દેખાશે. અરીસામાં તમને હમેશાં ઊલટું ચિત્ર જ દેખાશે. સ્‍વચ્‍છ અને શાંત પાણીમાં પણ તમને તમારું પ્રતિબિંબ દેખાય છે, પણ તે ધૂંધળું દેખાય છે. પાણીના તરંગો પ્રકાશને અસમતોલ રીતે પાછા ફેંકે છે. અરીસો સ્‍પષ્‍ટ અને ચળકતો હોય છે. તેથી તમારું પ્રતિબિંબ સ્‍પષ્‍ટ અને સમતલ દેખાય છે

દૂધમાં ઉભરો ચડે છે તેમ પાણીમાં કેમ ચડતો નથી ?


દૂધમાં ઉભરો ચડે છે તેમ પાણીમાં કેમ ચડતો નથી ?


દૂધમાં કુદરતી પાણી મીનમમ ૮૩% અને મહત્તમ ૮૭% હોય છે. બાકીનાં તત્‍વોમાં પ્રોટિન ૩.૫% અને શર્કરા ૫% જ્યારે ચરબી સરેરાશ ૪% થી ૭% હોય છે. આમ તો દૂધમાં ચરબી અદ્રશ્‍ય રીતે પૂરેપૂરી ભળેલી રહે છે, પરંતુ દૂધને ગરમ કરાય ત્‍યારે પોતાના હળવા વજનને લીધે સપાટી પર જમા થવા માંડે છે. દરમ્‍યાન નીચેના લેવલે દૂધ માંહ્યલું પાણી ગરમ થાય ત્‍યારે આપોઆપ વરાળના બારીક પરપોટા બને. ગરમ વરાળ હંમેશા ઊંચે ચડે, માટે તેઓ પણ સપાટી તરફ ઊંચે ગયા વગર રહેતા નથી. મલાઈનો એટલે કે ચરબીનો થર ત્‍યાં એ પરપોટાને કેદ પકડી રાખે છે. વળી થર નીચે પરપોટા વિસ્‍તરણ પામે છે, માટે ફુગ્‍ગામાં જાણે હવા ભરી હોય તેમ થર પોતે અધ્‍ધર ચડે છે.
નીચેના લેવલે દૂધ માંનું કેટલુંક વધુ પાણી સૂ્ક્ષ્‍મ પરપોટામાં ફેરવાય, ફીણની જેમ એ પરપોટા સપાટી તરફ ચડે, મલાઇના થરને ફુલાવે અને પોતે વિસ્‍તરણ પામતા જાય એટલે દૂધમાં ઊભરો આવે છે. ઉકળતા પાણીમાં એવું ન બને, કેમ કે દરેક પરપોટો સપાટી લગી પહોંચતા જ ફૂટી જાય છે.

કાગળ કેવી રીતે બને છે?


કાગળ કેવી રીતે બને છે?
કાગળની ઉપયોગીતા તો તમે જાણતાં જ હશો. છાપાં, પુસ્‍તકો અને રમકડાંથી માંડીને ચલણી નોટો બનાવવા માટે કાગળનો ઉપયોગ થાય છે. કાગળની શોધ ન થઈ હોત તો વિશ્વનો વિકાસ અધુરો રહી જાત. આટલી મહત્‍વની ઉપયોગીતાનો કાગળ બનાવવાની રીત તો સાવ સરળ છે. કાગળ, પસ્‍તી રદ્દી અને લાકડાના માવાને પાણીમાં રગદોળી સીધી સપાટી ઉપર પાથરી દો અને તેમાંથી પાણી ઉડી જાય એટલે કાગળ તૈયાર. પણ તે થોડો જાડો કાગળ બને. બે હજાર વર્ષ અગાઉ ચીનમાં આ રીતે કાગળ બનાવવાની શરૂઆત થયેલી પછી આ પધ્ધતિમાં થોડા સુધારા થયાં અને કાગળના માવાને જાળીદાર પાટીયા ઉપર સહેજ દાબ આપીને પાથરવાની પધ્ધતિ આવી. વળી તેને સફેદ અને સુંવાળો બનાવવા માટે કેટલાંક રસાયણો પણ ઉમેરવાનું શરૂ થયું. ફ્રાંસના લુઈ રોબર્ટ નામના વિજ્ઞાનીએ કાગળ બનાવવાનું યંત્ર શોધ્‍યું. જેમાં લાંબા જાળીવાળા પટ્ટા ઉપર માવો પાથરવામાં આવે છે. માવામાંથી પાણી નીતરી ગયા પછી તેને દાબયંત્રમાં દબાવીને પાતળો અને સુંવાળો બનાવાય છે પછી યાંત્રિક પધ્ધતિથી સુકવી દેવામાં આવે છે. કાગળ મુખ્‍યત્‍વે પેપીટસ નામના ઝાડના રસમાંથી બનાવવામાં આવતો એટલે તેનું નામ પેપર પડી ગયું. હાલમાં કાગળ વનસ્‍પતિના રેસા, લાકડા અને રદ્દીમાંથી બનાવવામાં કાગળ બનાવવા માટે જંગલના વૃક્ષો કાપવા પડે છે એટલે પર્યાવરણના બચાવ માટે કાગળનો દુરુપયોગ કે બગાડ ન કરવો જોઈએ.

માણસની આંખ સતત પલકારા માર્યા કરે છે તેનું શું કારણ ?


માણસની આંખ સતત પલકારા માર્યા કરે છે તેનું શું કારણ ?

માણસની આંખ ન પટપટે તો જ નવાઈ ! કુદરતે આંખના પોપચાંને અનેક કાર્યો સોંપ્‍યા છે. પહેલું કાર્ય લેન્‍સરૂપી ડોળાને સ્‍વચ્‍છ રાખવાનું. પોપચાનો દરેક પલકારો જાણે કે ભીનું પોતું ફેરવતો હોય તેમ ડોળા પર બાઝતા રજકણો જેવા કચરાને સાફ કરે છે. બીજું કે ડોળા જો ભીના ન રહે તો હવાના ઑક્સિજનને શોષી પણ શકે નહિ. શરીરના બધા અવયવોમાં માત્ર ડોળાને લોહી દ્વારા ઑક્સિજન મળતી નથી, એટલે તે પુરવઠો તેમણે હવા દ્વારા મેળવવો પડે.
ઈજા થવાનું કે ઝાપટ વાગવાનું જોખમ હોય ત્‍યારે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં બીડાતાં પોપચાં આંખોને રક્ષણ આપે છે. આ કાર્યો જોતાં કુદરતે જ પોપચાંને અનૈચ્છિક રીતે ઑટોમેટિક પલકારા માર્યા કરે તેવાં બનાવ્‍યાં છે. માણસની આંખનાં પોપચાં સરેરાશ પાંચ સેકન્‍ડે ૧ પલકારો મારે છે. દિવસમાં ૧૭,૦૦૦ વખત પલકે છે અને એક વર્ષમાં તો ૬૨,૫૦,૦૦૦ વખત !

કાગળને વધુમાં વધુ સાત વખત જ ફોલ્‍ડ કરી શકાય


કાગળને વધુમાં વધુ સાત વખત જ ફોલ્‍ડ કરી શકાય


સામાન્‍ય કાગળને માત્ર સાત વાર (બહુ તો આઠ વાર) ફોલ્‍ડ કરી શકાય એ વાત અનેક લોકોને ખબર નથી. વધુ ગડી શા માટે ન વાળી શકાય તેનાં ત્રણ વૈજ્ઞાનિક કારણો છે :
(૧) દર ફોલ્ડિંગે કાગળની સંખ્‍યા ડબલ થાય છે. શરૂઆતમાં કાગળનું એક જ પાનું હોય, પરંતુ સાતમા ફોલ્ડિંગે તે સંખ્‍યા રઃ૭ મુજબ ૧૨૮ બને ! આથી ગડી વાળવા માટે જોર પણ એ જ પ્રમાણમાં વધારવું રહ્યું જે બિલકુલ શક્ય નથી.
(૨) કાગળ વળતો જાય એમ તેનું ક્ષેત્રફળ ઘટે છે. ઉચ્‍ચાલનના સિધ્‍ધાંત અનુસાર જે ઠેકાણે પ્રયત્‍નબળ લડાવવું પડે તે બિંદુ વધુ ને વધુ ગડી પાસે એટલે કે ફોલ્‍ડ પાસે આવતું જાય, એટલે બળ પણ વધારવું પડે છે.
(૩) દરેક નવા ફોલ્‍ડ વખતે બહારના નવા કાગળને વળવા માટે જગ્‍યા સહેજ વધુ જોઈએ, પરંતુ અંદરનો કાગળ બહાર તરફ ઓર દબાણ કરીને તેને એ જગ્‍યા આપતો નથી. માટે છઠ્ઠા કે સાતમા ફોલ્ડિંગ પછી આપણે વધુ ગડી ન વાળી શકીએ.

પગે ખાલી કેમ ચડે છે



પગે ખાલી કેમ ચડે છે
પગનું હલનચલન અટકી જાય અને ભેગાભેગ તેના સ્‍નાયુ પણ એકધારા દબાયેલા રહે ત્‍યારે લોહીનું ભ્રમણ તેમાં બરાબર થતું નથી. પગની અંદરના ટિબિયલ નર્વ કહેવાતા મુખ્‍ય જ્ઞાનતંતુને મળતો લોહીનો પુરવઠો અવરોધાય છે, માટે એ જ્ઞાનતંતુમાં મગજના સંદેશા પણ મુક્ત રીતે વહી શકતા નથી.ઘણીવાર જ્ઞાનતંતુ પોતે દબાય એટલે પણ સંદેશાનો ટ્રાફિક અટકી પડે છે. પગના દરેક સ્‍નાયુને ચોક્કસ રીતે હલનચલન કરવાના હુકમો તે જ્ઞાનતંતુ દ્વારા મળતા હોય છે. મગજે પ્રસારિત કરેલા એવા હુકમો પગના જે તે સ્‍નાયુને ન પહોંચે સુધી આપણે પગને સરળતાપૂર્વક આમ કે તેમ ખસેડી પણ ન શકીએ. આને લીધે પગમાં ચેતના પણ જણાય નહિ. પગ તત્‍પુરતો ખોટો પડી જાય છે. અંતે જકડાયેલા પગને સહેજ છૂટો કરી તેના પરનું દબાણ હળવું બનાવો ત્‍યારે એ વખતે તેમાં પાછો શરૂ થતો સંદેશાનો ટ્રાફિક આસપાસના સ્‍નાયુમાં હળવી ઝણઝણાટી પેદા કરે છે અને તે ઝણઝણાટી માટે જ આપણે ‘ખાલી‘ શબ્‍દ વાપરીએ છીએ.

ક્વાર્ટઝ એટલે શું ?


ક્વાર્ટઝ એટલે શું ?

સિમ્‍પલ ગુજરાતીમાં કવાર્ટઝ એટલે સ્‍ફટિક કે જે ચોક્કસ જાતના ખનિજ પથ્‍થર છે. આધુનિક ભીંત ઘડિયાળમાં અને કાંડા ઘડિયાળમાં વપરાતા કવાર્ટઝ બહુ ખૂબીભર્યા હોય છે. પાઇઝોઇલેક્ટ્રિક તરીકે ઓળખાતા ક્વાર્ટઝનું અજાયબ કૌતુક એ કે તેને વીજળીનો સપ્‍લાય આપો ત્‍યારે તે કંપવા લાગે છે અને કંપસંખ્‍યા હોય સેકન્‍ડના ૩૨,૭૬૮ ધ્રુજારી જેટલી ! એકાદ કંપારી પણ વધુ નહિ તેમ એકાદ કંપારી ઓછી પણ નહિ ! આ તેના ધ્રુજવાનો કુદરતી ‘રેટ‘ છે.
માનવજાતના સદ્દભાગ્‍યે ૩૨,૭૬૮ કંપારીઓ સમય માપવામાં આબાદ રીતે મદદરૂપ થાય છે. કવાર્ટઝ રીસ્‍ટ વૉચમાં અથવા કલોકમાં બેટરીનો વીજસપ્‍લાય ટચૂકડા કવાર્ટઝને ધ્રુજાવે એટલે ડિવાઈડર સરકીટ કહેવાતી વીજાણુ ચિપ ૩૨,૭૬૮ના આંકડાને વારાફરતી બે વડે કુલ ૧૬ વખત ભાગાકાર કરે છે. પરિણામે જવાબ ૧ મળે છે. ઘડિયાળમાં એ રીતે ૧ સેકન્‍ડ નોંધાય છે, જેના આધારે ડ્રાઇવિંગ સરકીટ નામની ચિપ ડિજિટલ વૉચમાં ડિસ્‍પ્‍લેમાં ૧ નો ફિગર ચમકાવે છે.
માનો કે ઘડિયાળ ડિજિટલ નથી, તો શું બને ? ડિજિટને બદલે કાંટા વડે સમય બતાવતી ઘડિયાળમાં ડ્રાઇવિંગ સરકીટને બદલે માઇક્રોસ્‍ટેપ મોટર હોય છે. આ મોટર હવે સેકન્‍ડના કાંટાને ૧ સ્‍ટેપ જેટલો ખસેડે છે.
આ સમય બતાવવામાં કવાર્ટઝ ઘડિયાળ માટે જ બહુ સચોટ ગણાય છે. દર વખતે ૧ સેકન્‍ડનો આંકડો જેના આધારે તારવવામાં આવે તે ૩૨,૭૬૮ની કંપસંખ્‍યા (ફ્રિકવન્‍સી) કદી બદલાતી નથી—અને બદલાય તો પણ હજારોના તે આંકડામાં બે-પાંચનો ફરક પડ્યા બાદ ૧ના આખરી જવાબમાં તો શો તફાવત પડવાનો હતો ?

રેફ્રિજરેટનું માપ લીટરમાં જ કેમ ગણાય છે ?


રેફ્રિજરેટનું માપ લીટરમાં જ કેમ ગણાય છે ?
લીટર એ વજનનું નહિ, પરંતુ જથ્‍થાનું માપ છે. આ સાદી વાત બહુ ઓછા લોકોના ખ્‍યાલમાં હોય છે. એક લીટર બરાબર ૧.૦૦૦૦૨૮ ઘન ડેસિમીટર અથવા તો લગભગ ૧,૦૦૦ ઘન સેન્ટિમીટર ગણાય છે. ઈંચમાં કહો તો એક લીટરે એટલે ૬૧.૦૨૫" જેટલું માપ થયું. કોઇ પાત્ર ૩" સમચોરસ હોય અને ઊંચાઈમાં ૬.૮" હોય તો તેમાં સરેરાશ ૧ લીટર પાણી સમાય છે. આ પાણીનું વજન લગભગ ૧ કિલોગ્રામ થતું હોય છે—અને માટે જ સામાન્‍ય લોકો મેટ્રિક પધ્‍ધતિના લીટરને ભુલમાં વજનનું માપ ધારી બેસે છે. ખરૂં જોતાં તે વેઇટને બદલે વૉલ્‍યુમનું માપ છે, એટલે રેફ્રિજરેટરમાં આંતરિક જગ્‍યા તેના આધારે નક્કી કરવામાં આવે છે.

વ્‍યકિતના ફોટાને બિલકુલ સામે રહીને જોતાં.


વ્‍યકિતના ફોટાને બિલકુલ સામે રહીને જોતાં...

આ જાતનો આભાસ ખરેખર તો આપણો દ્રષ્ટિભ્રમ છે, પરંતુ દર વખતે તેવો ભ્રમ થતો નથી. વૈજ્ઞાનિક રીતે કહો તો ફોટામાં કે ચિત્રમાં રહેલી વ્‍યક્તિની કીકી બિલકુલ આંખના કેન્‍દ્રસ્‍થાને હોય એટલે કે વચ્‍ચોવચ હોય ત્‍યારે જ આવું બને. ચિત્રના કે ફોટાના સંદર્ભમાં ડાબી તરફ ખસો ત્‍યારે વ્‍યક્તિનો એંગલ બદલાય છે, પરંતુ સાથોસાથ કીકીના એંગલમાં પણ એટલે જ ફરક પડે છે. પરિણામે સમજી લો કે આપણા માટે તેનો ફોટામાં કશો ફરક પડ્યો નહિ—અને માટે તેની નજર પણ સતત આપણી સામે મંડાયેલી જણાય છે. વ્‍યકિત એકધારી ટગર ટગર આપણા તરફ જોયા કરતી હોય એવો ભ્રમ થાય છે. ધારો કે કીકીનું સ્‍થાન આંખમાં તદ્દન વચ્‍ચોવચ ન હોય તો ડાબે કે જમણે ખસ્‍યા કરો તેમ તેના ચહેરાનો એંગલ બદલાય, પરંતુ તેની કીકી તે પ્રમાણે ખસતી નથી. અગાઉ મુજબ ત્રાંસી મંડાયેલી રહે છે.

સમુદ્રમાં મોતી શી રીતે બને છે ?



સમુદ્રમાં મોતી શી રીતે બને છે ?


કાલુ નામની છીપ સમુદ્રનાં તળિયે હંમેશા પડી રહેતી હોય છે. ઉપરના તથા નીચેના ભાગમાં છીપનું પડ ઢાલ જેવું મજબૂત અને કઠણ હોય છે, પરંતુ અંદરનો જીવ અત્‍યંત નરમ અને પોચો હોય છે. છીપની નાની અમથી ફાટ દ્વારા ક્યારેક રેતીના કણ અંદર ખૂંપી જાય ત્‍યારે કાલુને સખત બળતરા થવા માંડે છે. દુખાવો ઓછો કરવા માટે તે ખાસ જાતના પ્રવાહી રસનું પડ આવાં કણ ફરતે લપેટે છે.
ટૂંક સમય પછી તે પ્રવાહી થીજે, એટલે લગભગ ગોળાકાર એવું મોતી બને. કાલુની હિંસા કર્યા વગર મોતી કાઢી ન શકાય, છતાં મરજીવાઓ પૈસા માટે દર વર્ષે અનેક કાલુનો ભોગ લે છે. ઘણી વાર તો કાલુના નરમ શરીરમાં તેઓ જાતે જ રેતીનો કણ ઘૂસાડીને તેને મોતી તૈયાર કરવા માટે ફરજ પાડે છે.

પાણીથી ભરેલા વાસણમાં પાણી જો બદલવામાં ન આવે તો માછલી મરી જાય છે.


પાણીથી ભરેલા વાસણમાં પાણી જો બદલવામાં ન આવે તો માછલી મરી જાય છે.

પાણીથી ભરેલા વાસણમાં કે બરણીમાં માછલીને રાખવામાં આવે છે, તેમાંનું પાણી જો બદલવામાં ન આવે તો માછલી શા માટે મરી જાય છે ?
આપણે સામાન્‍ય રીતે એવું માનતા હોઇએ છીએ કે, માછલીને જીવવા માટે જો કોઇ વસ્‍તુની અનિવાર્ય જરૂર હોય તો તે પાણી છે. પાણી વગર માછલી જીવી ન શકે તેવી લગભગ સહુની માન્‍યતા છે, પરંતુ આ માન્‍યતા સાચી નથી. તે ભલે પાણીમાં જ રહેતી હોય તેમ છતાં પાણી અથવા જળ માછલીને જીવંત રાખતું નથી, પરંતુ પાણીની અંદર રહેલો પ્રાણવાયુ માછલીને જીવંત રાખે છે. પ્રાણવાયુ વગર કોઇ પ્રાણી જીવી શકતુ નથી. બીજા કોઇ પ્રાણી કરતાં માછલી પાણીમાં સારી રીતે જીવી શકે છે, અને તેનું કારણ તેનાં ફેફસાંની ખાસ પ્રકારની રચના છે. તેની મદદથી તે પાણીમાંથી, બીજા કોઇ પણ પ્રાણી  કરતાં વધુ સારી રીતે પ્રાણવાયુ ખેંચી શકે છે, ગ્રહણ કરી શકે છે.
પરંતુ જયારે માછલીને કોઇ પાણી ભરેલી બરણીમાં કે વાસણમાં મૂકવામાં / રાખવામાં આવે છે ત્‍યારે થોડાં જ વખતમાં માછલી તે ઠામમાં રહેલા પાણીમાંના પ્રાણવાયુનો ઉપયોગ કરી નાખે છે. આથી જયારે તે પાણીમાં રહેલો પ્રાણવાયુ ખલાસ થઇ જાય અને માછલીને જો તાજાં પાણી મારફતે નવો પ્રાણવાયુ ન મળે તો બરણી કે વાસણમાં ભરેલા પાણીમાં પણ માણસ પાણીમાં ડૂબીને મરી જાય તેમ માછલી મરી જાય છે. આમ હોવાથી માછલીઘરમાં કે કોઇ વાસણમાં માછલી ઉછેરવી હોય, જીવતી રાખવી હોય તો તેમાનું પાણી વારંવાર / વખતોવખત બદલતા રહેવું પડે છે અને તેમાં તાજું પાણી ભરતાં રહેવું પડે છે.

થર્મોસમાં ચા ગરમ કેવી રીતે રહી છે?


થર્મોસમાં ચા ગરમ કેવી રીતે રહી છે?

કલાકો પહેલાં થર્મોસમાં રેડેલી ગરમ ચા કે કોફી કલાકો પછી તેવી ન ગરમ રહે છે. થર્મોસની કઈ વસ્‍તુ ચા કે કોફીને ગરમ રાખે છે? જવાબ બહુ વિચિત્ર છે. થર્મોસમાં એવી કોઈ જ વસ્‍તુ નથી હોતી જે ચાને ગરમ રાખે. ત્‍યારે ગરમ વસ્‍તુ ગરમ કેવી રીતે રહેતી હોય છે? આપણું થર્મોસ બે બાટલીઓનું બનેલું હોય છે. મોટી બાટલીની અંદર નાની બાટલી હોય છે. બંને બાટલીઓ ફકત ઉપરથી જ એકબીજા સાથે જોડાયેલી હોય છે. બંને બાટલીઓ વચ્‍ચે ફકત શૂન્‍યાવકાશ જ હોય છે. પંપ દ્રારા બે બાટલીઓ વચ્‍ચેથી હવા કાઢી લીધેલી હોય છે, જેને આપણે શૂન્‍યાવકાશ કહીએ છીએ. આમ બે બાટલીઓ વચ્‍ચે ખરેખર કશું જ નથી હોતું. હવે તમે અંદરની બાટલીમાં ગરમ ચા રેડશો તો તેની ગરમીને પસાર થવા કોઈ માધ્‍યમની જરૂર પડશે અને ત્‍યારે જ તે બહારની મોટી બાટલી સુધી જઈ શકશે. પરંતુ ગરમી ઠંડીનું વહન કરી શકે તેવું માધ્‍યમ વચ્‍ચે નથી અને હકીકત એ છે કે હવા વિનાની શૂન્‍યાવકાશવાળી જગ્‍યામાં ગરમી પસાર થઈ શકતી નથી. આ કારણે ગરમ વસ્‍તુ કલાકો સુધી ઠંડી જ રહે છે.

દીવાલોમાં ઇંટોની ગોઠવણી કેવી હોય છે ?


દીવાલોમાં ઇંટોની ગોઠવણી કેવી હોય છે ?
મકાનોમાં કે બીજાં બાંધકામોમાં જે ઇંટો વાપરવામાં આવે છે તે સામાન્‍ય રીતે ૯ ઇંચ લાંબી, ૪.૧/૨ ઇંચ પહોળી અને ૨.૩/૪ ઇંચ જાડી હોય છે. ઇંટથી ચણનારો કડિયો આ ઇંટોને ગારા (MORTAR) થી જોડે છે કે સાંધે છે. આવો ગારો MORTAR પાણીમાં ચૂના અને રેતીનું અથવા પાણી સાથે સિમેન્‍ટ અને રેતીનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. આ ગારો કંઇ ઇંટના ચણતરની મજબૂતાઇ નથી, પરંતુ તે તો તેની નબળાઇ છે. ગારાથી કરવામાં આવતા આવા સાંધા નબળા હોય છે, એટલે કડિયો સીધેસીધી એક ઇંટ ઉપર બીજી ઇંટ મૂકીને ઇંટોને ગોઠવતો નથી.
જો આવી રીતે એક ઇંટની બરાબર ઉપરાઉપરી જ ઇંટો ગોઠવવામાં આવે અને આવા બાંધકામવાળી દીવાલની ઉપર લોખંડના ગર્ડર કે થાંભલા મૂકવામાં આવે તો તેમના ભારથી ઇંટોને સાંધનારા બધા સાંધા છૂટા પડી જશે અને દીવાલ કડૂડૂભૂસ તૂટી પડશે. આવું જ બને તે માટે ઇંટનું ચણતરકામ BOND બાંધણી અથવા જોડાણ પદ્ઘતિ મુજબ કરવામાં આવે છે. આ પદ્ઘતિમાં ઇંટોની એક લાંબી હાર ગોઠવવામાં આવે છે અને તેની બીજી હાર બરાબર જે તે ઇંટની ઉપર નહીં પરંતુ છેડા ઉપર ઊભી ગોઠવવામાં આવે છે. આવી એક આડી-ઊભી હાર પૂરી થતાં વચમાં જે ખાલી જગ્‍યા રહે તેમાં ઇંટોના ટૂકડા મૂકવામાં આવે છે. આવું કરવાથી ચણતરકામ મજબૂત બને છે અને તેના સાંધા થાંભલાના વજનથી છૂટા પડતા નથી.

Monday, January 23, 2012

સાંજના સમયે ઘરમાં અંધારું શા માટે ન રાખવું??


સાંજના સમયે ઘરમાં અંધારું શા માટે ન રાખવું??


આપણે આપણા ઘરના વડીલોને એવું કહેતા ચોક્કસ સાંભળીએ છીએ કે, સાંજના સમયે અંધારું ન રાખવું જોઈએ. કારણ કે સૂર્યાસ્તનો સમય કે સાંજનો સમય શાસ્ત્રો પ્રમાણે ભગવાનની આરાધના કરવાનો સમય માનવામાં આવે છે.


દરેક ધર્મના બધા જ જાણીતા પુસ્તકોમાં સાંજે પૂજા કરવાનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. તેની સાથે સાંજના સમયે ઘરમાં દીવો સળગાવવો અથવા ઘરને પ્રકાશિત(લાઇટ દ્વારા) કરવું પણ જરૂરી માનવામાં આવ્યું છે. સંધ્યાનો શાબ્દિક અર્થ સંધિનો સમય અર્થાત્ જ્યાં દિવસ પૂરો થાય છે અને રાત શરૂ થાય છે તેને સંધિકાળ કહેવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આખા દિવસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે જેમાં પ્રાતઃકાળ, મધ્યાહન કાળ અને સાયંકાળ.


સંધ્યા પૂજન માટે પ્રાતઃકાળનો સમય સૂર્યોદયથી 6 ઘડી સુધી, મધ્યાહન 12 ઘડી સુધી તથા સાયંકાળ 20 ઘડી સુધી ઓળખાય છે. એક ઘડીમાં 24 મિનિટ હોય છે. પ્રાતઃકાળમાં તારા હોય ત્યારે, મધ્યાહનમાં જ્યારે સૂર્ય મધ્યમાં હોય ત્યારે અને સાંજે સૂર્યાસ્તની પહેલા જ સંધ્યા કરવી જોઈએ. સંધ્યાનો તાતપર્ય પૂજા કે ભગવાનને યાદ કરવા સાથે છે. શાસ્ત્રોની માન્યતા છે કે નિયમપૂર્વક સંધ્યા કરવાથી પાપ રહિત થઈ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. 


રાતે કે દિવસે આપણાથી જાણતા-અજાણતા ખરાબ કામ થઈ જાય છે, તે ત્રિકાળ સંધ્યાથી નષ્ટ થઈ જાય છે. ઘરમાં સંધ્યાનો દીવો પ્રગટાવવો કે પ્રકાશ રાખવો જરૂરી માનવામાં આવ્યો છે કારણ કે ઘરમાં સાંજના સમયે અંધારું રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સ્થાયી નિવાસ થાય છે. ઘરમાં બરકત નથી રહેતી અને ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે. એટલે સાંજે ઘરમાં અંધારું ન રાખવું જોઈએ.

માતા સરસ્વતીની પૂજા, વસંત પંચમી ઉપર શા માટે?


માતા સરસ્વતીની પૂજા, વસંત પંચમી ઉપર શા માટે?


હેવાય છે કે, બ્રહ્માએ વિષ્ણુની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાંય માનવીની રચના કર્યા પછી જ્યારે બ્રહ્માએ પોતાના સર્જનને જોયું ત્યારે તેમને લાગ્યું કે કંઈક ખામી રહી ગઈ છે. જેના લીધે ચારેય તરફ મૌન-મૌન લાગે છે. વિષ્ણુ ભગવાન પાસેથી અનુમતિ મેળવી તેમને ચતુર્ભુજી સ્ત્રીની રચના કરી જેના એક હાથમાં વીણા અને બીજો હાથ વર મુદ્રામાં હતો. બીજા બે હાથમાં પુસ્તક અને એક માળા હતી. 




બ્રહ્માએ દેવીને વીણા વગાડવાનો અનુરોધ કર્યો. દેવીએ જેવી વીણા વગાડવાનું શરૂ કર્યું, વીણીના મધુર નાદ(અવાજ)થી સંસારના બધા જ જીવ-જંતુઓને વાણી પ્રાપ્ત થઈ ગઈ. જલધારામાં ચેતના આવી ગઈ. પવન ચાલવામાં સરસરાહટ થવા લાગી. ત્યારે બ્રહ્માએ આ દેવીને વાણીની “દેવી સરસ્વતી” એવું નામ આપ્યું.




સરસ્વતીને ભગવતી, શારદા, વીણાવાદીની અને વાગ્દેવી સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આ દેવી વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરનાર છે. સંગીતની ઉત્પત્તિ કરવાને લીધે તેને સંગીતની દેવી પણ કહેવાય છે. વસંત પંચમીના દિવસે તેનો જન્મોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. ઋગ્વેદમાં ભગવતી સરસ્વતીનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની સમૃદ્ધિ અને સ્વરૂપનો વૈભવ અદભૂત છે. પુરાણો પ્રમાણે શ્રીકૃષ્ણએ સરસ્વતીથી ખુશ થઈ વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તમારી પણ આરાધના કરવામાં આવશે. વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીનો જન્મદિવસ માનવામાં આવે છે એટલે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.

લગ્નની કંકોત્રી, સૌથી પહેલા કોને અને શા માટે આપવામાં આવે છે?


લગ્નની કંકોત્રી, સૌથી પહેલા કોને અને શા માટે આપવામાં આવે છે?


ભારતીય પંરપરામાં દરેક કામની શરૂઆતમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. પછી તે ભણતર હોય કે વાહનની ખરીદી, વેપાર-ધંધો હોય કે લગ્ન પ્રસંગ દરેક કામમાં ગણપતિને સૌ પ્રથમ આમંત્રિત કરવામાં આવે છે. 


એવું કયું કારણ છે કે આપણે ગણપતિ વગર કોઈ જ કામ કરતા નથી ? આખરે ગણપતિને સૌપ્રથમ પૂજવાનું કારણ શું છે ? ગણપતિને સૌ પ્રથમ પૂજવા પાછળનું એક સૌથી મોટું દાર્શનિક કારણ છે, આપણે તેની તરફ ધ્યાન નથી આપતા, આ મર્મ પાછળ શું રહસ્ય છુપાયેલું છે. જો કે હકીકતમાં ગણપતિ બુદ્ધિ અને વિવેકના દેવતા ગણવામાં આવે છે. બુદ્ધિથી જ વિવેક આવે છે અને જ્યારે બંને સાથે હોય તો કોઈ પણ કામ કરવામાં આવે તેમાં સફળતા નિશ્ચિતપણે પ્રાપ્ત થાય છે. આપણે ગણપતિને પૂજીએ છીએ તો તેની સાથે એવા આશીર્વાદ પણ માગીએ છીએ કે આપણી બુદ્ધિ સ્વસ્થ્ય રહે અને આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકીએ જેથી આપણે આપણા કામમાં સફળતા મળે. 


તેની પાછળનો સંદેશો એ છે કે તમે જ્યારે પણ કોઈ કામ શરૂ કરો ત્યારે તમારી બુદ્ધિને સ્થિર રાખો. એટલે ગણપતિજીનો ફોટો પણ નિમંત્રણ કાર્ડમાં બનાવવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. લગ્ન જેવાં મોટા પ્રસંગોનું આયોજન વગર અડચણે પૂરું થાય એટલે સૌથી પહેલા શ્રીગણેશને પીળા ચોખા અને લાડુંનો ભોગ આપી આખો પરિવાર એકઠો થઈ તેમને લગ્નમાં પધારવા માટે પ્રાર્થના કરે છે. જેથી લગ્નમાં બધા ગજાનનની કૃપાથી ખુશ રહે.

માથા ઉપર દુપટ્ટો શા માટે રાખવામાં આવે છે?


માથા ઉપર દુપટ્ટો શા માટે રાખવામાં આવે છે?


બધા ધર્મની સ્ત્રીઓ દુપટ્ટા કે સાડીના છેડાથી પોતાનું માથુ ઢાંકેલું રાખે છે. માથુ ઢાંકી રાખવું આપણે ત્યાં સન્માન સૂચક માનવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક કારણ પણ છે. માથુ મનુષ્યના અંગોમાં સૌથી સંવેદનશીલ ભાગ હોય છે. બ્રહ્મારંધ્ર(તાળવુ) માથાની વચ્ચોવચ આવેલું હોય છે. વાતાવરણમાં સામાન્ય ફેરફારના દુષ્પ્રભાવથી બ્રહ્મારંધ્ર(તાળવા)ના ભાગથી શરીરના અન્ય અંગો પ્રવેશે છે. એ સિવાય આકાશીય વિધુતીય તરંગો ખુલ્લા માથાના વ્યક્તિની અંદર પ્રવેશી ક્રોધ, માથાનો દુખાવો, આંખોની નબળાઈ વગેરે જેવા રોગોને જન્મ આપે છે. માથાના વાળમાં રોગ ફેલાવનાર કીટાણું આસાનથી ચોટી જાય છે. કારણ કે ચુંબકીય શક્તિ આકર્ષિત કરે છે. રોગ ફેલાવનાર આ કીટાણું વાળ દ્વારા શરીરની અંદર પ્રવેશી જાય છે. જે વ્યક્તિને રોગી બનાવે છે. આ કારણે માથા અને વાળને બને તેમ ઢાંકી રાખવાનું આપણે ત્યાં પરંપરા વણાઈ ગયું છે. 


સાફો, પાઘડી અને અન્ય સાધનોથી માથાને ઢાંકવાથી કાન પણ ઢંકાઈ જાય છે. જેનાથી ઠંડી અને ગરમ હવા કાન દ્વારા શરીરમાં પ્રવેશી શકતી નથી. આમ કરવાથી ઘણા રોગો સામે બચાવ થાય છે. માથુ ઢાંકવાથી આજનો જે સૌથી મોટો રોગ ગણાય છે તે ટાલ, વાળ ઉતરવા અને ડેન્ડ્રફથી આસાનીથી બચી શકાય છે. 


આજે પણ હિન્દુ ધર્મમાં પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના સંબંધીઓના માથાના વાળ ઊતારવામાં આવે છે. જેથી મૃતકના શરીરમાંથી નિકળેલા રોગાણુ તેના વાળમાં ચોટી ન રહે. મુંડન-બોડું કરાવવાથી તેનો નાશ થઈ જાય છે. સ્ત્રીઓ વાળને સાડી કે દુપટ્ટાથી ઢાંકી રાખે છે એટલે તેઓ રોગાણુ-(રોગના કિટાણુ)થી બચી શકે છે. 


નવજાત બાળકને પણ પહેલા જ વર્ષે એટલા માટે માથાનું મુંડન કરવામાં આવે છે કે,ગર્ભાશયમાં જે ગંદકી તેના વાળમાં ચોટેલી હોય તે નિકળી જાય. મુંડનની આ પ્રક્રિયા અલગ-અલગ ધર્મોમાં જુદી-જુદી રીતે જોવા મળે છે. પૌરાણિક કથાઓમાં પણ નાયક, ઉપનાયક તથા ખલનાયકના માથા ઢાંકવા માટે મુગટ પહેરતા હતા. આજ કારણે આપણી પરંપરાઓમાં માથાને ઢાંકવાનું સ્ત્રીઓ અને પુરુષો બધા માટે જરૂરી માનવામાં આવ્યું છે.

કયો ગ્રંથ ઘરમાં રાખવામાં નથી આવતો? શા માટે


કયો ગ્રંથ ઘરમાં રાખવામાં નથી આવતો? શા માટે


આપણે કેવું જીવન જીવવું જોઈએ? આપણા વિચારો કેવા હોવા જોઈએ? આપણા કર્તવ્ય અને અધિકાર કયાં છે? એવા તો અનેક પ્રશ્નોનો જવાબ આપણા ગ્રંથો અને ધર્મશાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. આ કારણે જ બધાને ગ્રંથોનું અધ્યયન કરવાની સલાહ આપવામાં આવે છે. જીવનમાં ગમે તેવી પરેશાનીઓ હોય પણ શાસ્ત્રોમાં તેનો ઉકેલ ચોક્કસ આપવામાં આવ્યો છે.


મોટાભાગના હિન્દુ પરિવારોમાં ધર્મ ગ્રંથનું નામ પડે એટલે રામચરિતમાનસ કે પછી શ્રીમદ ભાગવત પુરાણ જ મળે, મહાભારત જેને પાંચમો વેદ માનવામાં આવે છે તેને ઘરમાં નથી રાખવામાં આવતો. વડીલો-વૃદ્ધોને આ પ્રશ્ન પૂછવામાં આવે તો તેઓ કહે છે કે, મહાભારત ઘરમાં રાખવાથી ઘરનો માહોલ બગડી જાય છે. ભાઇઓમાં ઝઘડા થાય છે. 


શું સાચે જ એવું થતું હોય છે? જો એવું નથી તો પછી હકીકત શું છે? શા માટે રામાયણને ઘરમાં સ્થાન આપવામાં આવે છે ને મહાભારતને નહીં ?


વાસ્તવમાં મહાભારત સંબંધો ઉપર આધારિત ગ્રંથ છે. પારિવારિક, સામાજિક અને વ્યક્તિગત સંબંધોનો ગ્રંથ. આ ગ્રંથમાં ઘણી એવી વાતો છે જે સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ નથી સમજી શકતો. પાંચ ભાઈઓમાં પાંચ અલગ-અલગ પિતાથી લઈને એક જ સ્ત્રીના પાંચ પતિઓની વાત હોય, તેમાં બધા જ સંબંધો એટલા ઝીંણા ગુંથેલા છે કે સામાન્ય માણસ તેની ગંભીરતા અને પવિત્રતા નથી સમજી શકતો. આ બાબતોને સામાન્ય માણસો વ્યાભિચાર માને છે અને તેનાથી સમાજમાં સંબંધોનું પતન થઈ શકે છે. એટલે ભારતીય મનુષ્યોને મહાભારતને ઘરમાં રાખવા ઉપર મનાઈ કરવામાં આવી છે. કારણ કે દરેક વ્યક્તિ આ ગ્રંથમાં બતાવેલ સંબંધોની પવિત્રતા સમજી શકતો નથી. 


એમાં જે ધર્મનું મહત્વ બતાવવામાં આવ્યું છે તે પણ સામાન્ય બુદ્ધિવાળો વ્યક્તિ નથી સમજી શકતો. તેની માટે ઊંડા અધ્યયન અને ગંભીર ચિંતનની જરૂરિયાત રહે છે.

ભગવાનના ફોટા ક્યાં લગાવવા?...અને ક્યાં નહી?


ભગવાનના ફોટા ક્યાં લગાવવા?...અને ક્યાં નહી?


આપણી ધાર્મિક માન્યતા છે કે આપણા બેડરૂમમાં અર્થાત સૂવાના રૂમમાં ભગવાનની કોઈ મૂર્તિ કે ફોટો લગાવવામાં આવતા નથી. માત્ર સ્ત્રીઓને જ્યારે ગર્ભવતી હોય ત્યારે બાળગોપાળનો ફોટો લગાવવાની છૂટ આપવામાં આવે છે. ત્યારે આપણે પ્રશ્ન થાય કે, શા માટે ભગવાનના ફોટા આપણા બેડરૂમમાં લગાવવામાં નથી આવતા? ભગવાનના ફોટાઓની એવી તો કંઇ નકારાત્મક અસર થાય છે કે, જેના લીધી મનાઈ કરવામાં આવી છે?


વાસ્તવમાં આ આપણી માનસિકતાને પ્રભાવિત કરે છે. આ કારણે ભગવાનના ફોટા મંદિરમાં જ લાગવવાનું સૂચવવામાં આવ્યું છે. બેડરૂમમાં નહી. જો કે બેડરૂમ આપણો પોતાનો અંગત જિંદગીનો ભાગ છે જ્યાં આપણે આપણી સેક્સ લાઇફ પણ જોડાયેલી હોય છે. જો અહીં ભગવાનના ફોટા લગાવવામાં આવે તો આપણા મનોભાવોમાં પરિવર્તન આવવાની શંકા રહે છે. એવું પણ શક્ય છે કે આપણી અંદર વૈરાગ્ય જેવો ભાવ જાગી જાય અને આપણે આપણા દામપત્યજીવનથી વિમુખ થઈ જઈએ. એમાં આપણી સેક્સલાઇફ પણ પ્રભાવિત થઈ શકે અને ગૃહસ્થ જીવનમાં અશાંતિ ઉત્પન્ન થઈ શકે છે. આ કારણે જ ભગવાનના ફોટો મંદિરમાં જ રાખવાની સલાહ આપવામાં આવી છે. 


જ્યારે ગર્ભવતી સ્ત્રીઓ હોય છે ત્યારે ગર્ભમાં ઊછરી રહેલા બાળકોમાં સારા સંસ્કારો પાડવા માટે બેડરૂમમાં બાળગોપાળના ફોટા લગાવવામાં આવે છે. જેથી તેને જોઈ ગર્ભવતી મહિલાના મનમાં સારા વિચારો આવે અને તે કોઈપણ દુર્ઘટના, ચિંતા અને પરેશાનીથી દૂર રહે. માતાની સારી શારીરિક માનસિકતાની અસર બાળકના વિકાસ ઉપર પડે છે.

ઘરમાં અરીસો, કંઈ જગ્યાએ લગાવવો?


ઘરમાં અરીસો, કંઈ જગ્યાએ લગાવવો?


સામાન્ય રીતે અરીસો બધાના ઘરમાં હોય જ છે. અરીસા વગર સારી રીતે સાંજ-શણગારની કલ્પના કરવી અઘરી છે. દિવસમાં ઘણીવાર આપણે પોતે જ અરીસામાં જોઈએ છીએ. તેનું કારણ અરીસો એવી જગ્યાએ લગાવવામાં આવે છે જ્યાંથી આપણે આસાનીથી પોતાને જોઈ શકીએ. 


અરીસો ક્યાં લગાવવો જોઈએ અને ક્યાં નહીં આ બાબતે વિદ્વાનો અને વાસ્તુશાસ્ત્રીઓ દ્વારા ઘણા મહત્વપૂર્ણ બિંદુ બતાવ્યા છે. દર્પણની બાબતે એક સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બેડરૂમાં અરીસો લગાવવો અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પતિ-પત્ની વચ્ચે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ સહન કરવી પડે છે. જો પતિ-પત્ની રાત્રે સુતી વખતે અરીસામાં જુએ તો તેની ખરાબ અસર તેની સેહત ઉપર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. તેની સાથે પતિ-પત્ની વચ્ચે દિવસભર જે થાક લાગે છે, આળસ થાય છે તેને કારણે વાસ્તુ પ્રમાણે બેડરૂમમાં અરીસો ન લગાવવાની સલાહ આપવામાં આવે છે, 


અરીસો એવી જગ્યાએ લગાવવો જોઈએ જ્યાંથી પતિ-પત્ની રાતના સમયે સૂતી વખતે અરીસામાં જોઈ ન શકે.

ચતુર્થી ઉપર ચંદ્રમાની પૂજા કેમ કરવામાં આવે છે?


ચતુર્થી ઉપર ચંદ્રમાની પૂજા કેમ કરવામાં આવે છે?


ચતુર્થી સ્ત્રીઓ માટે ખૂબ જ મોટો મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. પત્નીઓ એવી દ્રડ માન્યતા હોય છે કે ચંદ્રની પૂજા કરવા અને કૃપા પ્રાપ્ત કરવાથી તેમના પતિની ઉંમર તથા સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ આ પરંપરાને બનાવવા પાછળ કયા વૈજ્ઞાનિક કારણ છે તે ખૂબ જ ઓછા લોકો જાણે છે. હકીકતમાં ચંદ્ર પૃથ્વીની નજીક હોવાને લીધે, પૃથ્વીવાસીઓને ખૂબ જ વધુ અસર કરે છે. કહેવાય છે કે, ચંદ્રથી નિકળતા સૂક્ષ્મ વિકિરણો માનવીને શારીરિક અને માનસિક બંને રીતે અસર કરે છે.


ચોથ કે મહિનાની કોઈપણ ચતુર્થીના દિવસે ચંદ્રમાની કલાઓની અસર ખાસ થાય છે. એટલે આ દિવસે પૂજા કરવાથી ખાસ લાભ થાય છે. ચંદ્રને જળ ચઢાવતી વખતે, ચંદ્રમાની કિરણો પાણીથી પરાવર્તિત થઈ સાધકને આશ્ચર્યજનક મનોબળ પ્રદાન કરે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એવી માન્યતા છે કે, ચંદ્રની પૂજા જરૂરપણે કરવી જોઈએ કારણ કે ચંદ્રને મનના કારક કે દેવતા હોવાને લીધે મનને સકારાત્મક ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરી દે છે.

જાણો છો નવરાત્રિમાં જવ કેમ ઉગાડવા જોઇએ..


જાણો છો નવરાત્રિમાં જવ કેમ ઉગાડવા જોઇએ..


ચૈત્ર મહિનામાં હિંદુ નવ વર્ષના પ્રારંભની સાથે મહા નવરાત્રિ શરૂ થાય છે.આ નવ દિવસ માતાની આરાધના માટે મહત્વપુર્ણ માનવામા આવે છે.


નવરાત્રિમાં દેવીના ઉપાસનાથી જોડાયેલી અનેક માન્યતાઓ છે,એમાની એક છે ઘરમાં જવારા લગાડવાની.


પણ બહુ ઓછા લોકો જાણે છે કે આની પાછળ શું કારણ હશે


જયારે સૃષ્ટિની શરૂઆત થઇ ત્યારે સૌથી પહેલો પાક જવનો જ હતો.એટલે આ પાકને સંપુર્ણ પાક કહે છે.


જવને હવનમાં દેવી - દેવતાઓને હોમવામાં આવે છે એટલે જ તો એમને હોમાવિષ્ટ અન્ન પણ કહે છે.


વસંતઋતુમાં પ્રથમ પાક જવનો હોય છે.જે આપણે માતાજીને અર્પણ કરીએ છીએ.એવું કહેવાય છે કે જવ ઉગાડી ભવિષ્ય સંબંઘી અમુક બાબતો વિશે સંકેત મળે છે.


જેમ કે, જો જવ ઝડપથી વધવા લાગે તો ઘરમાં સુખ-સમૃધ્ધિ તેજીથી વધવા લાગે છે અને જો આછા રંગના થાય તો ભવિષ્યમાં ઘરની સમૃધ્ધિમાં કોઇપણ રીતે વૃધ્ધિ થાય છે, 


જો કરમાવા લાગે તો એમની વૃધ્ધિ ઓછી થાશે અથવા ભવિષ્યમાં કોઇ અશુભ ઘટનાનો સંકેત આપે છે.

નવરાત્રિ નવ દિવસ જ કેમ હોય છે?


નવરાત્રિ નવ દિવસ જ કેમ હોય છે?


ઋતુ વિજ્ઞાન પ્રમાણે બંને મહિના(ચૈત્ર અને આસો) ગરમી અને ઠંડીના સંધિવાળા મહત્વપૂર્ણ મહિના હોય છે. ઠંડીની શરૂઆત આસોથી થઈ જાય છે. અને ગ્રીષ્મની શરૂઆત ચૈત્રથી ગરમીની. વસંત ઋતુ ચૈત્ર શુક્લ એકમથી શરૂ કરી નવ દિવસ ચૈત્ર નવરાત્રિના નામે પ્રસિદ્ધ છે. નવ શબ્દ નવીન અર્થક અને નવની સંખ્યાનું પ્રતીક છે. આથી નવ સંવત્સરનો શરૂઆતના દિવસ હોવાને કારણે ઉક્ત દિવસોને નવો કહેવો યોગ્ય છે. તથા દુર્ગા માતાના અવતારોની સંખ્યા પણ નવ હોવાથી નવ દિવસ સુધી ઉપાસના કરવામાં આવે છે.


ખેતી પ્રધાન દેશ ભારતમાં આસો અને ચૈત્ર મહિનો ખાસ મહત્વ ધરાવે છે. ચૈત્રમાં અષાઢી પાક અર્થાત્ ઘઉં, જવ વગેરે અને આસોમાં શ્રાવણી પાક તૈયાર થઈને ઘરમાં આવે છે. આથી આ બંને અવસરો ઉપર નવ દિવસ સુધી માતાની આરાધના કરવામાં આવે છે. આમ તો એકવર્ષમાં ચાર નવરાત્રિ હોય છે એમાંથી બે ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. અને બે નવરાત્રિમાંથી પણ ચૈત્ર નવરાત્રિને મોટી માનવામાં આવે છે. નવરાત્રિનો તહેવાર નવ દિવસ સુધી ચાલે છે કારણ કે મૂળ રીતે દેવીના ત્રણ સ્વરૂપ હોય છે.


આ નવ દિવસોમાં ત્રણ દેવીઓ પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પહેલા ત્રણ દિવસ પાર્વતીના ત્રણ સ્વરૂપો(કુમાર, પાર્વતી અને કાલી) બીજા ત્રણ લક્ષ્મી માતાના સ્વરૂપો અને છેલ્લે ત્રણ દિવસ સરસ્વતી માતાના ત્રણ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે નવરાત્રિમાં નવ દિવસ સિદ્ધિ પ્રાપ્ત અને કુંડલીને જાગૃત કરવાના દિવસ હોય છે. આ નવ દિવસોમાં માતાના પૂજન પહેલા દિવસે મૂલાધાર ચક્ર જાગૃત થાય છે. આ પ્રકારે નવ દિવસ નવ નિર્માણ ચક્રની જાગૃતિ થાય છે. આ નવ દિવસ વિશેષ સિદ્ધિદાયક હોય છે. એટલે નવરાત્રિ નવ દિવસની હોય છે.